પ્રાચીન સમયમાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે મતભેદો વધી ગયા ત્યારે દેવતાઓ બ્રહ્માજી પાસે પોતાની રક્ષાની યાચના કરવા. બ્રહ્માજીએ તેમને જગદગુરૂના શરણમાં જવા કહ્યું. જગદગુરૂએ દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દેવતાઓને દાનવરાજ બલીને મળીને તેના માર્ગદર્શન પ્રમાણે સમુદ્ર મંથન કરવા કહ્યું. જગદગુરૂ સમુદ્રમંથનને અંતે નીકળનારા અમૃતને પીને દેવતાઓ અમર થઈ જશે એમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.
જગદગુરૂની સલાહ અનુસાર દેવતાઓએ સમુદ્રમંથન શરૂ કર્યું. જો કે સમુદ્રમંથન શરૂ કરતા જ મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. અંતે થાકેલા-કંટાળેલા દેવતાઓ ભગવાનની શરણે ગયા. તેમણે દેવતાઓને કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ એવી સલાહ આપી, કારણ કે ગણેજીની પૂજા વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. તે સાંભળીને દેવતાઓ ગણેશજીની પૂજા અર્ચના કરવા લાગ્યા. જો કે પૂજા વખતે જ લીલાધારી ભગવાને કચ્છપ રૂપ ધારણ કરીને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લીધો.
દેવતાઓએ સમુદ્ર મંથન શરૂ કર્યુ પણ તેમાંથી અમૃત ન નીકળ્યું. ત્યારે ભગવાને સહસ્ત્રબાહુ રૂપે બંને તરફથી મંથન શરૂ કર્યું. તે વખતે નીકળેલા વિષને પીને ભગવાન શીવ નીલકંઠ બન્યા.
અંતે અમૃત મળ્યું. પણ તેના માટે દેવ-દાનવો વચ્ચે ઝઘડો થયો. ત્યારે ભગવાને અમૃત દેવતાઓને જ મળે તેવી લીલા કરી. અમૃત પીને દેવતા અમર થઈ ગયા.
દેવતાઓએ ભગવાન કચ્છપની સ્તુતિ વંદના કરી. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે જે લોકો ભગવાનની શરણે જઈને કર્મ કરે છે તે જ દેવતા કહેવાય છે. તેમને જ સાચા સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા.