Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાખરિયો સોમવાર - ભાખરિયા સોમવાર વ્રત કથા અને પૂજા વિધિ

bhakriya somvar
, મંગળવાર, 25 જુલાઈ 2023 (13:09 IST)
bhakriya somvar
Bakharia Somvar Vrat - આ સોમવાર શ્રાવણ માસના પહેલા સોમવારથીએ શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે ત્રણ, પાંચ કે સાત એમ બિલીપત્ર ચઢાવવામાં આવે છે. આ દિવસે મહાદેવજીને ભાખરીનુ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. ઉપવાસ કરવામાં આવે છે અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણુ કરવામાં આવે છે. વ્રત કથા પુસ્તકની કથા પ્રમાણે આ વ્રત ત્રણ માસ સુધી કરીને તેની કારતક મહિનામાં ઉજવણી પણ કરી શકાય છે. 
 
ભાખરીયો સોમવાર વ્રતની પૂજા વિધિ - શ્રાવણ માસના પહેલા સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો. વ્રત કરનારે ત્રણ, પાંચ કે સાત બીલીપત્રો ભગવાન શંકરને ચઢાવવાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી.
 
ભાખરીઆ સોમવારની વાર્તા સાંભળી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું, એક અથવા બે ભાખરીનું એકટાણું ભોજન કરવું. શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું.
 
પ્રત્યેક સોમવારે ત્રણ, પાંચ કે સાત બીલીપત્રો મહાદેવજીને ચડાવવાં અને મહાદેવજીનું પૂજન કરવું. ભાખરીઆ સોમવારની વારતા સાંભળ્યા પછી જ એકટાણું કરવું.’ 
 
પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી. તેમાંથી એક ભગવાનને નૈવેધ ધરાવવી, બે દાનમાં આપવી અને બે ભાખરીઓ પોતાને માટે રાખવી.
 
કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું. તે વેળા મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું. યથાશક્તિ દાન આપવું.
 
ભાખરીયો સોમવારની વ્રત કથા
એક ગામ હતુ. એ ગામમાં રામશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને મંગલાગૌરી નામને એપત્ની હતી. 
 
રામશર્મા  બ્રાહ્મણ ઘણો દયાળુ, વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી. તે માંગી લાવે તેમાથી તે થોડુ ઘણુ દાન કરતી. તે હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જ મતા. ઘણીવાર તો આ બંને પતિ-પત્નીને ભૂખ્યા રહેવુ પડતુ. બંને જણા પોતાની દરિદ્રતાથી ઘણા કંટાળી ગયા હતા. પણ કરવુ શુ. 
 
એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા ન મળી. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મુંઝાયા કે આજે ખાવુ શુ ? અને ભૂખ્યા માણસને ખવડાવવુ શુ ?
 
આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાઘના કરવાનુ વિચારી લીધુ. બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી. થોડા દિવસ થયાકે મહાદેવજી તેમને ત્યા સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનુ ભોક્ષાપાત્ર ધરીને ઉભા રહ્યા. 
 
બ્રાહ્મણ ખચવાયો તેની પાસે આપવા જેવુ કાંઈ હતુ નહી. બે બિચારો શુ આપે  ? એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરતા કરતા તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલે પેલા સંન્યાસીએ તેને આશ્વાસન આપતા કહ્યુ : તુ ઉપાધિઓથી નિરાશ ન થઈશ. તારા દુખનુ કારણ તારા ગયા ભવના કર્મો છે. તુ વિધિપૂર્વક ભાખરિયા સોમવારનુ વ્રત કર, જેથી તુ અઢળક લક્ષ્મી મેળવીશ. ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે.  પાંડવો જ્યારે દુખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા. ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યુ હતુ. જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી. 
 
મહારાજ આ વ્રત કંઈ રીતે થાય તે મને કહો. 
 
સંન્યાસી બોલ્યા : "હે બ્રાહ્મણ આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવુ અને સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવુ.  દરેક સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીને દિવો કરવો. પછી મહાદેવજીના મંદિર જઈ મહાદેવજીનુ પૂજન કરવુ અને ત્રણ પાંચ કે સાત બીલીપત્રો ચઢાવવા. ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણુ કરવુ.  દરેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી. તેમાથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવવી બે ભાખરીઓ બ્રાહ્મણને કે નાના છોકરાઓને આપવાની. બાકીની વધેલી ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી અને ભગવાનને ધરાવેલ ભાખરી ગાયને ખવડાવી દેવી. 
 
કારતક માસની અજવાળી ચૌદસે વ્રતનુ ઉજવણુ કરવુ. તે દિવસે મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન અબીલ- ગુલાલથી ભગવાનનુ ભક્તિપૂર્વક પૂજન કરવુ. યથાશક્તિ દાન આપવુ. 
 
આ પ્રમાણે દાન કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે. આટલુ કહીને સંન્યાસી ત્યાથી ચાલ્યા ગયા. 
 
શ્રાવણ માસ આવત બ્રાહમણ બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરિયા સોમવારનુ વ્રત શરૂ કર્યુ. વ્રત કરતા જ દિવસે ને દિવસે તેમની હાલત સુધરતી ગઈ. કારતક મહિનાની અજવાળી ચૌદશે તેમણે વ્રતનુ ઉજવણુ કર્યુ. 
 
આમ ભાખરિયા સોમવારના પ્રતાપથી બ્રાહ્મણ-બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા. તેમના સર્વ મનોરથો પૂર્ણ થયા.  થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો. 
 
હે ભોળાનાથ ! ભાખરિયા સોમવારનુ વ્રત જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા તેવુ વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dashama ni Aarti - જય જય દશામા માતા