શિવમહાપુરાણમાં એક કથા છે. એકવાર શિવ અને સતી અગત્સ્ય ઋષિ પાસેથી કથા સાંભળીને પાછા ફરી રહ્યાં હતાં. ભોલેનાથ શિવે જોયું કે ભગવાન રામ માતા સીતાના વિયોગમાં વિલાપ કરતાં ભટકી રહ્યા હતા. તેમને જોઈને શિવજીએ તેમને પ્રણામ કર્યા, પણ માતા સતીના મનમાં રામજીની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. શિવજીને આગ્રહ કરી તેઓ ભગવાન રામની પરીક્ષા કરવા પહોંચ્યાં સીતાનો વેશ લઈને. પણ ભગવાન રામે તો સતીને જોતાંવેત કહ્યું કે માતા તમે અહીંયા, ભોલેનાથ ક્યાં છે?
સતી માતાએ શિવજી પાસે જઈને ખોટું કહ્યું કે ભગવાન રામ તેમને ન ઓળખી શક્યા. શિવજી આ વાત માની ન શક્યા ને ધ્યાન લગાવીને જોયું તો રામજીએ તેમને માતા કહીને સંબોધ્યા હતા. એ જોઈને શિવજીએ સતીનો ત્યાગ કર્યો. શિવજીના મનમાં એ પણ હતું કે આરાધ્યદેવની માતાને પોતાની પત્ની તરીકે કઇ રીતે સ્વીકારી શકે. જોકે ત્યારબાદ સતીએ પિતા ધ્વારા આયોજિત યજ્ઞમાં શંકરનો ભાગ ન જોતાં આત્મદહન કર્યું અને બીજો જન્મ પાર્વતીના રૂપે લીધો. તેમણે કઠોર તપસ્યા કરી શિવજીને પામવા માટે.
કોઈની લાગણીઓ પર વિશ્ર્વાસ ન હોવો અને શંકા થાય એ તો ઠીક છે, પરંતુ જ્યારે તમારી શંકાનું નિવારણ થાય તો મનુષ્યએ નમ્રતાથી પોતાની હાર કબૂલ કરવી જોઈએ. એમ ન કરતાં જો અહંકારવશ આપણે અસત્યને અપનાવીશું તો શિવ જીવનો ત્યાગ કરતાં ક્ષણનોય વિચાર નથી કરતા. શિવને પામવા માટે નમ્રતાપૂર્વક સત્યનો સ્વીકાર કરવો. નહીં તો શિવમાં શ્રદ્ધા રાખવી.