Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો શુ છે આઇ.સી.યુ. - દર્દીના સગા વ્હાલાઓએ કઇ બાબતની જાણકારી રાખવી જોઇએ ?

જાણો શુ છે આઇ.સી.યુ. - દર્દીના સગા વ્હાલાઓએ  કઇ બાબતની જાણકારી રાખવી જોઇએ ?
, મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (15:34 IST)
પડકારજનક સ્થિતિમાં ક્રિટીકલ કેરની સારવાર દર્દીઓને નવજીવન આપે છે: ક્રિટીકલ કેરની સારવાર આપતા વિભાગને આઇસીયુ તરીકે ઓળખાય છે

આધુનિક સમયમાં ક્રિટીકલ કેરની સમયસરની અને સચોટ સારવારના કારણે વિશ્ર્વભરમાં દરરોજ હજારો લોકોને નવજીવન મળે છે આમ છતાં ક્રિટીકલ કેરની સારવારને લઇ અધુરા જ્ઞાન અને સાંભળેલી વાતોના પરિણામે સામાન્ય લોકોમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.

આ લેખમાં ક્રિટીકલ કેરનો પરિચય ઉપરાંત ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ અને તેની ટીમ કઇ રીતે અમૂલ્ય માનવજીવન બચાવવા સતત ઝઝુમતા રહે છે તે બાબતની જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે જેથી સામાન્ય વાચકોને ક્રિટીકલ કેર બાબતે મનમાં ઉઠતા સવાલોના જવાબ મળી રહે.

ક્રિટીકલ કેર (આઇસીયુ) એટલે શું ?
કોઇપણ સામાન્ય માણસને આ પ્રશ્ર્ન પૂછવામાં આવે એટલે જવાબમાં મોટાભાગે ‘દર્દીની હાલત ગંભીર હોય ત્યારે કરાતી સારવાર’ એવો જ જવાબ સાંભળવા મળે પણ આટલી માહિતી પૂરતું નથી. ખાસ કરીને એવા ક્ષેત્ર માટે કે જેનો સીધો સંબંધ દર્દીના જીવન-મરણ સાથે જોડાયેલો હોય. આધુનિક યુગમાં માનવ શરીર જે નુકસાન સામે સફળતાપૂર્વક ટકી જાય છે તે આધુનિક મંગળયાન મિશન કરતા સહેજ પણ ઓછું આશ્ર્ચર્યજનક નથી, હૃદયરોગનો ભારે હમલો, ભારે ઇન્ફેકશન ભયાનક અકસ્માતથી થતી શારીરિક ઇજા, ગંભીર રીતે દાઝી જવું કે મગજમાં લોહી જામી જવું જેવી પરિસ્થિતિઓ મોટાભાગે જીવલેણ નીવડી શકે છે. પણ આજના જમાનામાં આમાંથી એક કે એક કરતાં વધારે તકલીફ હોવા છતાં દર્દીને નવું જીવતદાન મળ્યાના કિસ્સા આપણે રોજ સાંભળીએ છીએ, જોઇએ છીએ અને અનુભવીએ છીએ. આ સફળતાનો મોટાભાગનો યશ ક્રિટીકલ કેરને આભારી છે. હોસ્પિટલની અંદર દર્દીને ક્રિટીકલ કેરની સારવાર આપવા માટે જે અલગ વિભાગ તૈયાર કરવામાં આવે તેને આઇ.સી.યુ. તરીકે ઓળખવામાં આવે છે.

ક્રિટીકલ કેરના દર્દીઓ:

ક્રિટીકલ કેરની સારવાર માટે આઇ.સી.યુ.માં દાખલ થતાં દર્દીઓને સરળતા ખાતર મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

1. ઘનિષ્ઠ નિરીક્ષણ અને સારવાર માટે દાખલ થતાં દર્દીઓ.
2. ગંભીર હાલતમાં હોય ત્યારે લાઇફ સપોર્ટ માટે દાખલ થતાં દર્દીઓ.
3. મેજર ઓપરેશન કે સર્જરી પછી દાખલ થતાં દર્દીઓ.

કોઇપણ દર્દીને જેટલી ઝડપથી ક્રિટીકલ કેરની સારવાર આપવાની શરૂ કરી શકાય તેટલું દર્દીના બીજા અંગોને થતું નુકસાન ઓછું કરી શકાય અને દર્દીને લાઇફ સપોર્ટ સીસ્ટમ ઉપર લાવતા બચાવી શકાય. અહીં સ્પષ્ટતા કરવી જરી છે કે મોટાભાગના લોકોની એવી માન્યતા હોય છે કે આઇ.સી.યુ.માં દાખલ થયેલો દર્દી લાઇફ સપોર્ટ સીસ્ટમ ઉપર જ હોય જે સાચી નથી.

ક્રિટીકલ કેરનાં ઉપકરણો:

1. કાર્ડીયક મલ્ટીપેરા મોનીટર
2. ચોક્કસ માત્રામાં દવા આપવા માટે સીરીંજ પમ્પ
3. એક સાથે વધારે દવાઓ આપવા માટે સેન્ટ્રલ લાઇન
4. ફ્રીડીંગ ટયુબ.
5. એર મેટ્રેસ
6. સપોર્ટ સીસ્ટમ જેમકે વેન્ટીલેટર, ડાયાલીસીસ મશીન, પેસમેકર વિગેરે.

ક્રિટીકલ કેરમાં વપરાતી દવાઓ:

આઇ.સી.યુ.ની અંદર અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ થતો હોય છે પરંતુ તેમાં મુખ્યત્વે એન્ટીબાયોટીક, લોહી પાતળું કરવાની દવાઓ, બી.પી. વધારવા કે ઘટાડવાની દવાઓ, શ્ર્વાસને કાબૂમાં રાખતી દવાઓ કે ઘેનની દવાઓનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે.

આઇ.સી.યુ.ના દર્દીના સગા વ્હાલાઓએ કઇ બાબતની જાણકારી રાખવી જોઇએ ?

(1) આપણા પરિવારનો કોઇપણ વ્યક્તિ ક્રિટીકલ કેર હેઠળ સારવારમાં હોય તો આપણને તેની ચિંતા થાય તે સ્વાભાવિક છે પણ આપણી ચિંતા સામેવાળી વ્યક્તિ માટે અડચણ ન બની જાય તે જોવાની જવાબદારી પણ આપણી જ છે. કોઇપણ વ્યક્તિ ગમે તે કારણોસર ક્રિટીકલ કેરમાં દાખલ હોય ત્યારે તેના એકથી વધારે સગાવ્હાલા આઇ.સી.યુ.ની બહાર હાજર જ હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પણ ડોકટર્સ કે બીજો કોઇપણ સ્ટાફ આઇ.સી.યુ.ની બહાર નીકળે કે તરત જ બધા વારાફરતી દર્દીની હાલત અંગે પૂછપરછ કરીને આઇ.સી.યુ.ના સ્ટાફની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરતા હોય છે. આપણે ઘણી વખત ચિંતાને કારણે ભૂલી જઇએ છીએ કે આઇ.સી.યુ.માં આપણા સિવાય બીજા પણ દર્દીઓ છે અને જો ડોકટર્સ કે સ્ટાફ તેની ઇમરજન્સી સારવારમાં રોકાયેલા હોય તો આપણી નાનકડી અણસમજ તેના માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

આનો મતલબ એમ નથી કે આપણે દર્દીની તબિયત વિષે અજાણ રહેવું. પરંતુ દર્દીને ક્રિટીકલ કેર હેઠળ સારવારમાં લીધા પછી કુટુંબના એક જવાબદાર અને વ્યવસ્થિત વ્યક્તિએ જ દિવસમાં સવાર-સાંજ યોગ્ય સમયે ડોકટરને મળીને દર્દીની તબિયતની માહિતી મેળવી લેવી જોઇએ અને તેણે જ પરિવારનાં બાકીના સભ્યોને માહિતગાર કરતા રહેવા જોઇએ.

(2) ઘણી વખત દર્દીના બહારગામથી આવતા અંગત પરિવારજનો અવારનવાર દર્દીને એક વખત મળવા દો. અથવા ખાલી મોઢું જોઇ લેવા દો એવી લાગણીપ્રધાન જીદ કરતા હોય છે અને જો આઇ.સી.યુ.ના સ્ટાફ કે ડોકટર્સ દ્વારા તેમને રોકવામાં આવે તો ઘણી વખત આ બાબતે ઉગ્ર સ્વપ લઇ લેતી હોય છે. બહારની કોઇપણ વ્યક્તિને આઇ.સી.યુ.ની અંદર નહીં જવા દેવાનું
મુખ્ય કારણ એ હોય છે કે દાખલ કરેલા મોટાભાગના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ સાવ ઓછી થઇ ગઇ હોય છે. ઘણાં દર્દીઓ એવા પણ હોય છે કે જે ચેપી રોગના શિકાર બની ગયા હોય છે. જો આવા સમયે બહારનો કોઇ વ્યક્તિ અંદર જાય તો તેના દ્વારા દર્દીને કોઇ ચેપ લાગવાની શકયતા રહે છે અથવા તો પોતે પણ ચેપી ઇન્ફેકશનનો શિકાર બની શકે છે માટે જયાં સુધી ડોકટર્સ સામેથી અંદર જઇને દર્દીને મળવાની રજા ન આપે ત્યાં સુધી અંદર જવાની જીદ કરવી જોઇએ નહીં. કારણ કે આપણી જીદ આપણાં જ સ્વજન માટે જોખમી સાબિત થઇ શકે છે.

સામાન્યથી લઇ ગંભીર બિમારી જેમકે તાવ, ઇન્ફેકશન કે કોઇ પણ રોગ દર્દી માટે કયારેક પ્રાણઘાતક નિવડી શકે છે. આવાં સમયે દર્દીઓને ક્રિટીકલ કેરમાં સારવાર આવશ્યક બની જાય છે. આવી ગંભીર પરિસ્થિતિમાં દર્દી, ડોકટર્સ અને તેનાં પડકારપ હોય છે. આથી જો ત્રણનો સમન્વય સરળતાથી સાઘી શકાય તો દર્દી જીવન-મરણની કટોકટીમાંથી હેમખેમ બહાર આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati