ગુજરાત હાઈકોર્ટે યોગ્ય તબીબી કાળજી હેઠળ આશરે ૮ સપ્તાહના ભ્રુણના ગર્ભપાત કરાવવા ૧૬ વર્ષીય બળાત્કારનો શિકાર થયેલી કિશોરીને મંજુરી આપી દીધી છે. તેના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર પર ગુજરાત હાઈકોર્ટે આ મંજુરી આપી છે. બળાત્કારનો શિકાર થયેલી કિશોરીના આઠ સપ્તાહના ભ્રુણના ગર્ભપાતને મંજુરી આપતા પરિવારને આંશિક રાહત થઇ છે. મેડિકલ ર્ટમિનેશન ઓફ પ્રેગ્નેસી એક્ટની ચોક્કસ જોગવાઈનો ઉલ્લેખ કરી હાઈકોર્ટના જસ્ટિસ કેજે ઠાકરે સ્થાનિક પોલીસને સોલા સિવિલ હોસ્પિટલમાં આ કિશોરીને લઇને જવા અને આવતીકાલ સુધી તબીબો સમક્ષ છેલ્લી ધડીનો તબીબી અહેવાલ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ભ્રુણને પડાવી દેવા માટેની પ્રક્રિયા ત્યારબાદ હાથ ધરી શકાશે. અદાલતનો આદેશ બળાત્કારનો શિકાર થયેલી કિશોરીની માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર પર આપવામાં આવ્યો છે. ૧૨મી ડિસેમ્બરના દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે જ્યારે આ કિશોરીને લઇ જવામાં આવી ત્યારે પોતાની પુત્રી પર રેપ થયો હોવાના અહેવાલની માહિતી સપાટી ઉપર આવી હતી. સોલા પોલીસસ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કિશોરીના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન એક યુવાને તેના પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો જેના કારણે તે સગર્ભા બની હતી. ફરિયાદના આધાર પર આરોપીને સોલા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. હાલમાં આ આરોપી જેલમાં છે તેમ અરજીમાં જણાવવામાં આવ્યું હતું. તબીબી ટેસ્ટમાં કિશોરી આઠ સપ્તાહની સગર્ભા હોવાના અહેવાલ સપાટી ઉપર આવ્યા બાદ તેના માતા-પિતાએ હાઈકોર્ટમાં અપીલ કરીને મેડિકલ એક્ટની જોગવાઈ હેઠળ બાળકને પડાવી દેવાની પરવાનગી માંગી હતી મેડિકલ ર્ટમિનેશન ઓફ પ્રેગ્નેસી એક્ટમાં એવી જોગવાઈ છે કે, જો સગર્ભા અવસ્થાનો ગાળો આઠ સપ્તાહથી ઓછાનો રહે તો એક તબીબની દેખરેખ હેઠળ ગર્ભપાતને મંજુરી આપવામાં આવે છે.