Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી સાહિત્યક્ષેત્રના સર્જક ભગવતીકુમાર શર્માનું 84 વયે નિધન

ગુજરાતી સાહિત્યક્ષેત્રના સર્જક ભગવતીકુમાર શર્માનું 84 વયે નિધન
, બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (12:51 IST)
ગુજરાતી સાહિત્યક્ષેત્રના મૂર્ધન્ય સર્જક અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માનું સુરત ખાતે બુધવારે સવારે 6 વાગ્યે દુ:ખદ અવસાન થયું છે. તેઓ 84 વર્ષના હતા અને તેમની અંતિમ યાત્રા સાંજે ૭.૩૦ કલાકે તેમના નિવાસસ્થાન પવિત્રા રો હાઉસ, આનંદ મહલ રોડથી નિકળી કુરુક્ષેત્ર જહાંગીરપરા જશે. તેઓના અવસાનના સમાચાર સાહિત્ય જગતમાં અને શહેરમાં વાયુ વેગે પ્રસરતા સમગ્ર સાહિત્ય જગત અને સુરત  શહેર ઊંડા શોકમાં ગરકાવ થયું છે.  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી સદ્દગતને શ્રધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદ્દગતને ભાવાંજલી આપતા કહ્યું કે ભગવતી કુમાર શર્માના નિધનથી  સાહિત્ય જગત અને પત્રકારીતા ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ પડી છે. 
વિજય ભાઈ રૂપાણીએ ઉમેર્યું છે કે પોતાની લેખની  કટાર લેખન અને રચનાઓથી બહુવિધ વિષયોને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં ભગવતીકુમાર શર્માનું પ્રદાન સદા કાળ આપણને યાદ રહેશે.  જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માનો જન્મ વર્ષ ૧૯૩૪માં સુરતમાં થયો હતો . તેમની નવલકથા ' અસૂર્યલોક ' ને સાહિત્ય અકાદમી એવોર્ડ મળી ચૂક્યો છે.   ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી. તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્ર ના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. 
કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે. નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ દેખાય છે. આ પૈકી ‘સમયદ્વીપ’માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ અને મનોસંઘર્ષ કેન્દ્રમાં છે. ‘ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે. તેમને ૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.  તેમને ૧૯૮૮માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી.૨૦૦૩માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો.  ૧૯૯૯માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. ૨૦૧૭માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.  તેઓના અવસાન ના સમાચાર વાયુ વેગે પ્રસરતા સમગ્ર સાહિત્ય જગત અને સુરત શહેર ઊંડા શોકમાં ગરકાવ થયું છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 5 વાત બને છે ટીચર વિદ્યાર્થીઓના વહાલા શિક્ષક